
ભાવનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.)ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પકડવાના બાકી રહેલા આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. એલસીબીની સતર્ક કામગીરીના પરિણામે લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને કાયદાની ઝપેટમાં લાવવામાં સફળતા મળી છે.
ભાવનગર એલસીબીના પોલીસ સ્ટાફ તળાજા ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં હતા. તે દરમિયાન બાતમીદારે હકીકત આપી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનાનંબર 503/2025 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ,એ), 81 અને 98(2) મુજબ નોંધાયેલા ગુનામાં પકડવાના બાકી આરોપી વિજયભાઈ શામજીભાઈ ખસીયા, રહે. દકાના ગામ, તા. તળાજા, જી. ભાવનગર, હાલ મહુવા ચોકડી વિસ્તારમાં હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મહુવા ચોકડી વિસ્તારમાં તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો.
પોલીસે તેની પુછપરછ કરતા પ્રાથમિક રીતે ગુનાનો એકરાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી.પોલીસે આરોપીની ધોરણસર અટકાયત કરીને તેને તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. સાથે જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT