
જામનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : તબીબી ક્ષેત્રે સંશોધન કાર્યને વધુ સચોટ, ગુણવત્તાયુક્ત અને અસરકારક બનાવવાના ઉમદા હેતુ સાથે જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ દ્વારા ‘મેડિકલ રિસર્ચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (MRDP) અંતર્ગત રિસર્ચ મેથોડોલોજીના બેઝિક કોર્સની ચાર બેચનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સ્ટેટ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (SHSRC) ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૧૩૦ જેટલા તબીબી શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંશોધન કૌશલ્યની તાલીમ મેળવી હતી.
આ તાલીમ કાર્યક્રમનું નેતૃત્વ પી.એસ.એમ. વિભાગના એસોસિએટ પ્રોફેસર અને IRIC ના મેમ્બર સેક્રેટરી ડો. નરેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન નોડલ ઓફિસર અને ઓબ્ઝર્વર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ કાર્યશાળામાં નિષ્ણાત રિસોર્સ પર્સન્સ તરીકે ડો. નલિની આનંદ-પ્રોફેસર અને હેડ, ગાયનેક વિભાગ, ડો. રાધા દાસ-એસોસિએટ પ્રોફેસર, ઓપ્થલમોલોજી અને ડો. સુમિત ઉનડકટ-એસોસિએટ પ્રોફેસર, પી.એસ.એમ. એ રિસર્ચ મેથોડોલોજીના વિવિધ ટેકનિકલ પાસાઓ પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિશેષ નોંધનીય બાબત એ છે કે, આ શૈક્ષણિક પહેલમાં જામનગરની કોલેજ ઉપરાંત GMERS મેડિકલ કોલેજ, પોરબંદરના ૯ તબીબી શિક્ષકોએ પણ ભાગ લીધો હતો, જે રાજ્યની સરકારી મેડિકલ સંસ્થાઓ વચ્ચેના મજબૂત શૈક્ષણિક સહકારનું પ્રતિક છે.
આ ઉપરાંત, મેડિકલના અભ્યાસકાળથી જ સંશોધન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી MBBS ના ત્રીજા વર્ષના ૯ વિદ્યાર્થીઓને પણ આ વર્કશોપમાં સાંકળવામાં આવ્યા હતા. ગુજરાતભરમાં મેડિકલ સંશોધન સંસ્કૃતિને વેગ આપવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલું આ પગલું તબીબી શિક્ષણ જગતમાં આશીર્વાદરૂપ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt