
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કરતા વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટનામાં એક ગૌરક્ષક ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે કેટલાક પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.
માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે કોસંબા પોલીસને હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી. તપાસ દરમિયાન શરૂઆતમાં કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આરોપ છે કે કેટલાક શખ્સોએ અન્ય લોકોને બોલાવી અંદાજે 50 જેટલા લોકોનું ટોળું એકત્ર કર્યું અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારો સાથે પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો કર્યો.
હુમલામાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ઉપરાંત, બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે, જેમાં એકનો હાથ તૂટી ગયો હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્તોને કીમ-કોસંબાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ હથોડા ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. DySP બી.કે. વનારની આગેવાનીમાં 15થી વધુ પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોને અટકાયત કરવામાં આવી છે અને FSLની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ છે.
બીજી તરફ ગૌરક્ષકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગૌરક્ષક સાજન ભરવાડે જણાવ્યું હતું કે સંવેદનશીલ ગામોમાં વારંવાર રજૂઆત છતાં તંત્ર પૂરતી કડક કાર્યવાહી કરતું નથી, જેના કારણે આવા બનાવો વધી રહ્યા છે.
હાલ ગામમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાયું છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે