
અમરેલી,26 ફેબ્રુઆરી (હિ.સ.)
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી હવામાન બદલાવના સંકેતો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે હળવા થી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ પશ્ચિમ દિશાથી આવતા પવન અને ઉપરવાસના સિસ્ટમના કારણે વાતાવરણ અસ્થિર બન્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવનની ઝડપ વધવાની શક્યતા છે. ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
આ બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે હાલ રવિ પાક અને બાગાયતી પાક માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કૃષિ વિભાગે ખેડૂતોને પાકનું સંરક્ષણ કરવા, ખુલ્લામાં રાખેલા અનાજ અને ખાતર સુરક્ષિત સ્થળે ખસેડવા અને પવનથી બચાવ માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી છે.
પ્રશાસન દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા, વીજળીના ખંભા અને વૃક્ષોથી દૂર રહેવા તથા હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
-------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai