
જામનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) :
આગામી પવિત્ર ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જતા હજારો પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. માર્ગ અકસ્માતો નિવારવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આર.ટી.ઓ. કચેરી, પોલીસ વિભાગ અને હોમગાર્ડ કચેરી દ્વારા સંયુક્ત રીતે રેડિયમ/રિફલેક્ટીવ જેકેટ વિતરણ માટેનો વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ સુરક્ષા અભિયાનમાં રોટરી ક્લબ ઓફ છોટી કાશી, રોટરેક્ટ ક્લબ તથા જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓએ પણ ઉમદા સહયોગ પૂરો પાડ્યો હતો. રાત્રિના સમયે હાઈવે પર પસાર થતા પદયાત્રીઓ વાહનચાલકોને દૂરથી જ દેખાઈ શકે અને અકસ્માતનો ભય ટળે તે માટે બહોળા પ્રમાણમાં રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓના આ સંયુક્ત પ્રયાસને પદયાત્રીઓએ હૃદયપૂર્વક બિરદાવ્યો હતો. આ કેમ્પ દ્વારા સેંકડો શ્રદ્ધાળુઓને સુરક્ષા કવચ પૂરું પાડી તેમની યાત્રા નિર્વિઘ્ન અને મંગલમય બને તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt