
ભાવનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ખાતે ધન કચરો, પ્લાસ્ટીક તથા શિપ કટીંગ દરમિયાન નીકળતા વાયરો તથા અન્ય વસ્તુઓને બાળવા/સળગાવવાની પ્રવૃતિને કારણે ઉત્પન્ન થતા ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે અને તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે.
આથી કોઈપણ વ્યક્તિએ આ તમામ વિસ્તારોમાં ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ તે માટે જાહેરનામું બહાર પાડવા પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું યોગ્ય જણાય છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા હુકમ કરવામાં આવે છે કે, લોકોને શુધ્ધ પ્રદુષણરહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ કમિશનર,મહાનગરપાલિકા-ભાવનગર, મુખ્ય કારોબારી અધિકારી-ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ-ભાવનગર, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-ભાવનગર, નિર્દિષ્ટ અધિકારી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ-અલંગ, સંબંધિત ચીફ ઓફીસરશ્રી, નગરપાલિકાઓ તથા સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓએ કરાવવાનો રહેશે. સદરહું જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-રર૩ મુજબ સજા થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT