

મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા સ્થિત શ્રી દ્વારકાધીશ મંદિરમાં ફાગણ માસના પાવન અવસરે હોલીના રસીયાનો ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ ભક્તિમય માહોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ ગો. ડૉ. વાગીશ કુમાર મહારાજની પાવન ઉપસ્થિતિમાં તેમજ તૃતીય ગૃહ યુવરાજ વેદાંત કુમાર મહોદય ની હાજરીમાં યોજાયો હતો.
મંદિર પરિસરમાં વહેલી સવારથી જ વૈષ્ણવ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. રસીયા ગાયન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના હોલી પ્રસંગોને ઉજાગર કરતા ભજનો ગવાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. ભક્તોએ રંગ અને ગુલાલ સાથે ભાવપૂર્વક ઉત્સવની ઉજવણી કરી હતી.
પીઠાધીશ્વર દ્વારા ભક્તોને ફાગણ માસના આધ્યાત્મિક મહત્ત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભક્તિ, એકતા તથા સંસ્કૃતિના સંરક્ષણ પર ભાર મુકાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા મહેસાણામાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR