
પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુર શહેરના નવા ભીલ વાસ ખાતે આદિવાસી સમાજ છેલ્લા 160 વર્ષથી ભવાઈ રમવાની અનોખી પરંપરા જાળવી રાખે છે. આશરે 160 વર્ષ પહેલાં વિસ્તારમાં અસાધ્ય રોગચાળો ફેલાતા સમાજના લોકોએ અંબાજી માતાની બાધા રાખી હતી. રોગચાળો શાંત થયા પછી બાધા પૂર્ણ કરવા ભવાઈ રમવાની શરૂઆત કરવામાં આવી, જે આજે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની ગઈ છે.
આ પરંપરા દર વર્ષે આઠ દિવસીય ભવાઈ મહોત્સવ રૂપે ઉજવાય છે. મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ભવાઈના વિવિધ વેશ ભજવવામાં આવે છે. આજના દિવસે ઈશ્વકલાલના પાત્રો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આધુનિક યુગમાં મનોરંજનના સાધનો બદલાયા હોવા છતાં, વિસ્તારના આદિવાસી પરિવારો આ પ્રાચીન લોકકલા જીવંત રાખી રહ્યા છે. યુવાનો અને વડીલો મળીને પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે ભવાઈની રજૂઆત કરી સંસ્કૃતિનું સંરક્ષણ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ