
બોટાદ, 28 ફેબ્રુઆરી (હિ.સ.)પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહેનારા પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણી દ્વારા આ વર્ષનું ચકલીમાળા વિતરણ અભિયાન ભવ્ય રીતે પ્રારંભ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત મોરારિ બાપુને ચિત્રકુટધામ તલગાજરડા ખાતે ચકલીમાળા અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.ઈશ્વરિયા વતની અને ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ (નાકરાણી) છેલ્લા કેટલાંક વર્ષોથી પર્યાવરણ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તેઓએ શિક્ષણ સાથે પર્યાવરણ જાગૃતિને જીવનમંત્ર બનાવી અનેક અનોખી પ્રવૃત્તિઓ હાથ ધરી છે. પક્ષીઓના સંરક્ષણ માટે ચકલીમાળા વિતરણ તેમનું મહત્વપૂર્ણ અભિયાન બની ગયું છે. શહેરોમાં ઘટતી ચકલીની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરીને તેઓ લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે.
ભાવનગર અને બોટાદ જિલ્લા વિસ્તારમાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં દાતાશ્રીઓના સહયોગથી એક લાખથી વધુ ચકલીમાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. માત્ર ચકલીમાળા જ નહીં, પરંતુ પક્ષીઓ માટે પાણીના કુંડાં, દાણા પાત્ર જેવી જરૂરી સામગ્રી પણ વિતરણ કરવામાં આવી રહી છે, જેથી ઉનાળાની ઋતુમાં પક્ષીઓને રાહત મળે.
આ કાર્યમાં ઉગામેડીના સ્વર્ગસ્થ ભુપતભાઈ મોરડિયા પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. સામાજિક જવાબદારી સાથે જોડાયેલા આ પરિવારે પર્યાવરણ બચાવ અભિયાનને મજબૂતી આપી છે.ચકલીમાળા અર્પણના પ્રસંગે શ્રી તુલસીભાઈ આજુડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને અભિયાનને શુભકામનાઓ પાઠવી હતી. પર્યાવરણ પ્રત્યેની આ સતત કામગીરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે અને પ્રકૃતિ સાથેનો માનવનો સંબંધ મજબૂત બનાવવાનો સંદેશ આપી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT