
પાટણ, 18 માર્ચ (હિ.સ.)પાટણ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકતધારકો સામે પગલાં લેતાં અત્યાર સુધીમાં પાંચ મિલકતો સીલ કરવામાં આવી છે અને રૂ. 2 લાખથી વધુ બાકી વેરાવાળી મિલકતોને સીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
નગરપાલિકાએ પાનેતર, છાયા, વિશાલ ફૂટવેર અને ચતુર્ભુજ બાગ નજીકની મિલકતો સહિત પાંચ સ્થળોને સીલ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જો માલિકો સ્થળ પર જ બાકી વેરો ચૂકવી દે તો સીલિંગની કાર્યવાહી અટકાવી શકાય છે.
મોબાઈલ ટાવર કંપનીઓ સામે પણ કડક પગલાં લેતાં શહેરના બે ટાવરોને બાકી વેરાના કારણે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. અનેક વખત નોટિસ અને વોરંટ આપ્યા છતાં વેરો ન ભરાતા આ કાર્યવાહી કરવી પડી છે.
ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે નાગરિકોને સમયસર વેરો ભરવા અપીલ કરી છે. સાથે જ ઓમ કોમ્પલેક્ષને ફાયર સેફટી સુવિધા એક અઠવાડિયામાં પૂરી કરવાની ચેતવણી આપી છે. સીલિંગ દરમિયાન ચતુર્ભુજ બાગ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને ટ્રાફિક પોલીસે નિયંત્રિત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ