
બોટાદ,19 માર્ચ (હિ.સ.)ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનોખું અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું. ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ચકલી માટે માળાની ભેટ આપી પ્રકૃતિ સાથે જોડાવાનો મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્પષ્ટ કરવામાં આવ્યું કે પ્રકૃતિના તમામ જીવજંતુઓને આપણી સાથે જીવાડવાની જવાબદારી દરેક મનુષ્યની છે.
આ કાર્યક્રમ ‘ધરતીના છોરું’ અભિયાનના સંયોજક શ્રી મૂકેશ પંડિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ પંચાલના સંકલન સાથે યોજાયેલી આ બેઠકમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ અને જીવજંતુઓ પ્રત્યે દયા અને સંવેદનશીલતા વિકસાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ચકલી જેવી નાની પક્ષીઓનું ઘટતું અસ્તિત્વ ધ્યાનમાં રાખીને, તેમને સુરક્ષિત આશરો મળે તે માટે માળા મૂકવાની પ્રેરણા આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઈશ્વરિયાના વતની તથા ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય શ્રી રમેશભાઈ નાકરાણી દ્વારા દાતા તરીકે વિદ્યાર્થીઓને ચકલીના માળાની ભેટ આપવામાં આવી હતી. આ ભેટ માત્ર એક વસ્તુ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રતિક બની રહી હતી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં ભાગ લઈ પ્રકૃતિની સુરક્ષા માટે પોતાની ભૂમિકા નિભાવવાનો સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રી કિશોરભાઈ ઢેઢીના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શિક્ષક શ્રી ભૂમિકાબેન પંચાલ, શ્રી રેખાબેન સવાણી, શ્રી કાજલબેન ડોડિયા, શ્રી વિનોદભાઈ બાબરિયા અને શ્રી હરજીભાઈ સરધારાએ આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
આવો પ્રયાસ વિદ્યાર્થીઓમાં માત્ર શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ માનવીય મૂલ્યો અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદના વિકસાવવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રકારના અભિયાનોથી સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે છે અને આવનારી પેઢી વધુ જવાબદાર બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT