
સુરત, 25 માર્ચ (હિ.સ.) : સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામના ઐતિહાસિક વારસામાં વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણનો ઉમેરો થયો છે. વાંઝ ગામે ગ્રામપંચાયત દ્વારા ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર સ્વ. કલ્યાણજી વિઠ્ઠલજી મહેતાના સ્મારકનું લોકાર્પણ કરાયું હતું. ગામના આગેવાનોની ઉપસ્થિતમાં વાંઝ ગામના મૂળ વતની એવા સ્વતંત્રસેનાની કલ્યાણજી મહેતાના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર સમર્પણ ભાવ અને સામાજિક યોગદાનને બિરદાવવામાં આવ્યો હતો. કલ્યાણજી મહેતાએ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ ભજવવાની સાથે ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર તરીકે લોકશાહી પરંપરાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંઝ ગામ દેશની સ્વતંત્રતા અને તેની ચળવળ સાથે ઐતિહાસિક વારસો ધરાવે છે. દાંડીયાત્રા દરમિયાન તા.2 એપ્રિલ, 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ અહીં સત્યાગ્રહીઓ સાથે રાત્રી રોકાણ કર્યું હતું. આ ઐતિહાસિક ધરોહર આજે પણ ગામના લોકજીવનમાં દેશભક્તિની ભાવનાને જીવંત રાખે છે.
સ્વ.કલ્યાણજી મહેતાનું સ્મારક માત્ર સ્મૃતિનું નહીં, પરંતુ નવી પેઢીને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રસેવાના મૂલ્યો તરફ પ્રેરિત કરતું જીવંત પ્રતિક બની રહેશે. આ પહેલ દ્વારા ગામના ઐતિહાસિક વારસાને આવનારી પેઢી સાથે જોડવાનો અનેરો પ્રયાસ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે