
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) બહુચરાજી ખાતે 31 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા યાત્રાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા કુલ 16 એક્સ્ટ્રા બસો તથા જરૂરિયાત મુજબ વધારાની ટ્રિપ્સ સાથે કુલ 530થી વધુ ટ્રિપ્સનું આયોજન કરાયું છે.
મેળા દરમિયાન વાહન વ્યવહાર સુચારુ રહે તે માટે બહુચરાજી ખાતે ત્રણ સેક્ટર મુજબ બૂથ બનાવવામાં આવ્યા છે. બૂથ નંબર 1 પરથી મહેસાણા, કડી, પાટણ, અમદાવાદ અને ચાણસ્મા તરફ બસો દોડશે, બૂથ નંબર 2 પરથી હારીજ તરફ અને બૂથ નંબર 3 પરથી કડી, દસાડા, માંડલ, શંખેશ્વર, વિરમગામ તથા અમદાવાદ તરફ બસ સેવા ઉપલબ્ધ રહેશે.
યાત્રાળુઓ માટે સહાયતા કેન્દ્રો, પેસેન્જર શેડ, પીવાનું પાણી, શૌચાલય અને માઈક દ્વારા માર્ગદર્શન જેવી સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મિકેનિકલ ગેંગ, ક્રેન અને એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.
સમગ્ર વ્યવસ્થાનું મોનિટરિંગ વિભાગીય નિયામક અને ડેપો મેનેજર દ્વારા કરવામાં આવશે, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR