
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) વિશ્વ ક્ષય દિન 24 માર્ચ 2026ના અવસરે મહેસાણા જિલ્લાના જિલ્લા ક્ષય કેન્દ્ર અને તાલુકા હેલ્થ કચેરી વિસનગર દ્વારા મામલતદાર કચેરી, વિસનગર ખાતે જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને અને મામલતદાર વિસનગરની હાજરીમાં યોજાયો હતો.
આ પ્રસંગે વિસનગર તાલુકાની મગરોડા ગ્રામ પંચાયતને ક્ષયરોગ નિવારણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા ગામસ્તરે સક્રિય કેસ શોધ, સમયસર નિદાન અને દર્દીઓને યોગ્ય સારવાર સુલભ બને તે માટે કરાયેલા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય અધિકારીઓએ ક્ષયરોગ અંગે જાગૃતિ ફેલાવવાના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે સમયસર તપાસ અને સારવારથી ટીબી સંપૂર્ણપણે મટાડી શકાય છે. સાથે જ લોકોમાં આ રોગ અંગેના ભ્રમો દૂર કરવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ટીબી મુક્ત સમાજ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR