



- લક્ષ્ય ગુજરાતમાં 2036 ઓલિમ્પિક માં ભાગ લેવાની
અંબાજી, 25 માર્ચ (હિ.સ.) : ભક્તિ, સાહસ અને ખેલદિલીનો એક અનોખો સંગમ આજે શક્તિપીઠ અંબાજી ખાતે જોવા મળ્યો. નડિયાદના 27 જેટલા ભૂલકાઓએ મોબાઈલના વળગણને ત્યાગી, વેકેશનનો સદુપયોગ કરી સ્કેટિંગ દ્વારા નડિયાદથી અંબાજી સુધીની 210 કિલોમીટર લાંબી સફર ખેડી છે. 5 થી 15 વર્ષની વયના આ નાનકડા સ્કેટર્સ આજે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં અંબાજી મંદિરે પહોચતા મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ અને ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા કુમકુમ તિલક કરી ચુંદડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી આગામી 2036 ની ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ગોલ્ડ મેડલ જીતવા માટે આશીર્વાદ માંગ્યા હતા. નડિયાદના સંતરામ મંદિરથી 20 તારીખે આશીર્વાદ લઈને નીકળેલા આ 27 સ્કેટર્સ અને 3 કોચની ટીમ પાંચ દિવસની કપરી મુસાફરી બાદ અંબાજી પહોંચી છે. માર્ગમાં આવતા પહાડી વિસ્તારો અને અનેક પડકારોને પાર કરીને પણ આ બાળકોના ચહેરા પર થાકને બદલે મા અંબેના દર્શનનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. અંબાજી મંદિરના પ્રાંગણમાં જ્યારે આ ભૂલકાઓએ સ્કેટિંગના કરતબો બતાવ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓ પણ આ નાનકડા સાહસિકોની કલા જોઈ આકર્ષિત થયા હતા.
બાળકોના કોચ અને વાલીઓના જણાવ્યા અનુસાર, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ડિજિટલ ગેમ્સ અને મોબાઈલથી દૂર રાખી મેદાની રમતો તરફ વાળવાનો છે. ૨૦૩૬માં અમદાવાદ ખાતે યોજાનારી ઓલિમ્પિક માટે અત્યારથી જ બાળકો તૈયાર થાય અને ગુજરાતનું નામ રોશન કરે તેવા મક્કમ નિર્ધાર સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. પહાડી રસ્તાઓ પર સ્કેટિંગ કરવું અત્યંત કપરું હોવા છતાં, બાળકોની શ્રદ્ધા અને જીતવાના જઝબાએ આ અંતર કાપવામાં સફળતા અપાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ