
બોટાદ, 25 માર્ચ (હિ.સ.) : ગઢડા ખાતે આવેલી એમ.એમ હાઈસ્કૂલમાં પર્યાવરણ સંરક્ષણ અને પક્ષી પ્રેમ અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પર્યાવરણ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુંબઈ સ્થિત સમાજસેવી કિશોરભાઈ સોનાણી (હરીપર)ના સહયોગથી યોજાયો હતો. તેમના દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધે અને અબોલ પક્ષીઓ માટે કરુણાભાવ જાગે તે હેતુથી ચકલીના માળા પૂરા પાડવામાં આવ્યા હતા. શાળાના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં વૃક્ષોનું ઓછું પ્રમાણ, શહેરીકરણ અને પ્રદૂષણના કારણે ચકલી જેવી નાની પક્ષીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આવી પરિસ્થિતિમાં ચકલી માટે માળા તૈયાર કરીને તેને યોગ્ય સ્થાન પર મુકવાથી તેમના નિવાસ માટે સહાય મળે છે. વિદ્યાર્થીઓને ઘરે અને આસપાસના વિસ્તારોમાં આ માળા લગાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની ફરજ છે. નાની નાની પ્રવૃત્તિઓ દ્વારા પણ આપણે પ્રકૃતિને બચાવી શકીએ છીએ. ચકલીના માળા લગાવવાની આ પહેલ એ જ દિશામાં એક સારો પ્રયાસ છે.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ પર્યાવરણની રક્ષા માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે અને ભવિષ્યમાં પણ આવા પ્રયત્નો ચાલુ રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT