


પાટણ, 26 માર્ચ (હિ.સ.) : પાટણ શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છીંડિયા દરવાજા સ્થિત રામજી મંદિર ખાતે મહાઆરતી બાદ સાધુ-સંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ વર્ષે બે મુખ્ય રથોમાં અયોધ્યાના રામલલ્લાની બાળ મૂર્તિ તેમજ રામ-લક્ષ્મણ-સીતા બિરાજમાન હતા.
શોભાયાત્રામાં બાહુબલી હનુમાન, શિવ-પાર્વતી જેવી આકર્ષક ઝાંખીઓ અને વિવિધ વેશભૂષાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દુર્ગાવાહિનીની બહેનો દ્વારા તલવાર રાસ અને બજરંગ દળના યુવાનો દ્વારા લાઠી દાવના કરતબો રજૂ કરાયા હતા, જ્યારે ડી.જે. અને ધાર્મિક સંગીતથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
લગભગ 6 કિલોમીટર લાંબા માર્ગ પર યાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું, જ્યાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી. માર્ગમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, શરબત અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ