
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રણશીપુર સ્ટેટ હાઇવેને ભાવનગર-એકલારા ગ્રામ્ય માર્ગ સાથે જોડતા નવા બ્રિજના નિર્માણ માટે ₹4875.18 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણય મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાની રજૂઆતના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે.
વિજાપુર તાલુકો સાબરકાંઠા જિલ્લાના સીમા નજીક આવેલો હોવાથી તેમજ સાબરમતી નદી પસાર થતી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થામાં મુશ્કેલીઓ સર્જાતી હતી. સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને આ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બ્રિજના નિર્માણથી બે જિલ્લાઓ વચ્ચેની અવરજવર સરળ બનશે તેમજ ગ્રામ્ય પ્રજાને દૈનિક મુસાફરી અને માલસામાનની હેરફેરમાં મોટી રાહત મળશે. વિકાસના આ પગલાથી વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ મળશે.
આ મંજૂરી બદલ સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR