
ગાંધીનગર,27 માર્ચ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દેશના કરોડો નાગરિકોના હિતને સર્વોપરી રાખી પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 13 રૂપિયાથી સીધી 3 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાથી શૂન્ય કરવાના કરાયેલા નિર્ણયને આવકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વ યુદ્ધ અને વૈશ્વિક સંકટની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે ગ્લોબલ સપ્લાય ચેઇન તૂટી રહી છે અને આખી દુનિયા સંકટનો સંકટનો સામનો કરી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય લઈ વૈશ્વિક સંકટ વચ્ચે પણ નાગરિકો પર કોઈ વધારાનો બોજો ન પડે તે સુનિશ્ચિત કર્યું છે.
તેમણે કહ્યું કે, આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંવેદનશીલતા અને ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનું જીવંત ઉદાહરણ છે. જ્યાં વિશ્વના ઘણા દેશો તેલના વધતા ભાવોના કારણે રેકોર્ડ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યાં મોદી સરકારે રાજસ્વની ચિંતા કર્યા વગર દેશના નાગરિકોને રાહત આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મોદીએ વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતના નાગરિકોના હિતને સર્વોપરી રાખી આ મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ