
ગીર સોમનાથ 28 માર્ચ (હિ.સ.) સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું તીર્થ આમ તો હરી અને હરની ભૂમિ કહેવામાં આવે છે. પરંતુ પુરાતન પુસ્તકો અનુસાર પ્રભુ શ્રીરામ પણ પિતૃ તર્પણ માટે પ્રભાસ તીર્થમાં પધાર્યા હતા જેથી અહીં સોમનાથ મહાદેવ અને કૃષ્ણની સાથે સાથે રામનું પણ અનેરૂ માહત્મ્ય છે. આજે ચૈત્ર સુદ નવમી એટલે કે, શ્રીરામ નવમીના પાવન અવસર પર સોમનાથ તીર્થ ઉત્સાહ અને ઉમંગથી છલકાયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નૂતન રામ મંદિર ખાતે, દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા.
મહાપૂજા અને રામ જન્મોત્સવ:
સોમનાથ ટ્રસ્ટના નૂતન રામ મંદિર ખાતે વહેલી સવારે પ્રાતઃ આરતી થી લઈને સાંજ સુધી દર્શનાર્થી શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત રહ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા રામ પ્રભુની મહાપૂજા અને ધ્વજા પૂજા કરવામાં આવી હતી. આ તકે મધ્યાહને શ્રીરામ જન્મોત્સવની ભવ્ય આરતી કરવામાં આવી હતી સમગ્ર મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી છલકાયું હતું. રામ નામના રટણ સાથે શ્રદ્ધાળુઓએ ભાવવિભોર થઈ રામ લલ્લાના જન્મને વધાવ્યો હતો. રામ પ્રભુનું પારણું બાંધવામાં આવ્યું હતું, જેને શ્રદ્ધા અને આસ્થાની સાથે બાલ રામ સ્વરૂપે શ્રદ્ધાળુ દ્વારા ઝુલાવવામાં આવ્યું હતું.
સુંદરકાડ પાઠ અને અન્નકૂટ મનોરથ:
રામ પ્રભુ અને તેમના પ્રિય સેવક કપિરાજ હનુમાનજીના ગુણોનું વર્ણન કરતા અને રામાયણનો રસસાર સમજાવતા સુંદરકાંડના પાઠનું રામ મંદિર ખાતે સાંજના સમયે સંગીત સાથે લાઘવ યુક્ત પઠન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ સુંદરકાંડ પાઠનું શ્રવણ અને પઠન કરી ધન્ય બન્યા હતા. સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રામ જન્મોત્સવના અવસર પર વિશેષ અન્નકૂટ ભોગ રામને અર્પણ કર્યો હતો. વિશેષ અન્નકૂટ શૃંગારના દર્શન પણ શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મંદિર પરિસરમાં આવનારા શ્રદ્ધાળુઓને શ્રીરામ જન્મોત્સવનો ઉલ્લાસ ઉજવવા બુંદી અને ગાંઠિયાના પ્રસાદ સાથે મો મીઠું કરાવવામાં આવ્યું હતું. સાથે દિવસ દરમિયાન ઠંડુ શરબત યાત્રીઓને પીરસવામાં આવ્યું હતું સાંજના સમયે શ્રી રામ પ્રભુની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં બહારથી આવનાર શ્રદ્ધાળુઓ અને સ્થાનીય ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સોમનાથ મહાદેવને રામ દર્શન શૃંગાર:
આ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મંદિરમાં પણ સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને રામ દર્શન શણગાર કરવામાં આવ્યો હતો. સેતુ નિર્માણ વખતે રામે, એક સુંદર શ્લોક બોલી પોતાનો અને શિવજીનો સંબંધ વર્ણવ્યો હતો શ્રીરામે કહ્યું હતું કે, रामस्य ईश्वरः यः सः रामेश्वरम् અર્થાત્ રામના જે ઈશ્વર છે એ જ રામેશ્વર છે. શિવજી જ્યારે માતા પાર્વતીને આ શ્લોક કહે છે ત્યારે કહે છે કે, रामः ईश्वरः यस्य सः रामेश्वरम् અર્થાત્ કે, રામ ઈશ્વર છે તેમની આરાધનાથી તેઓ(શિવજી) રામેશ્વર છે. રામેશ્વર નો અર્થ આજે પણ શાસ્ત્રો અને લખાણમાં શ્રીરામ અને શિવજી થાય છે. ત્યારે રામ અને શિવજીની પરસ્પર અનુકંપાના દર્શન કરાવતો, રામ દર્શન શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવ અને તેમાં રામની છબી જોઈ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ