
જામનગર, 02 એપ્રિલ (હિ.સ.) :જામનગર શહેરના એક પરિણીતાને પુત્રી સાથે એકલા મૂકી દઈ પતિ જૂનાગઢ જિલ્લામાં રહેતા માતા સાથે રહેવા ચાલ્યા ગયા હતા, જે પછી પરિણીતાને પતિ તથા સાસુ અવારનવાર કોલ કરી ચાલચલગત વિશે ગાળો ભાંડી ત્રાસ આપતા હોવાથી તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના ઢીંચડા રોડ પર સેનાનગર નજીક ગ્રીન પાર્કમાં માધુરીબેન બાલસ (ઉ.વ.24) નામની યુવતિના હસમુખભાઈ અરશીભાઈ બાલસ નામના યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન થયા પછી આ દંપતીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તે દરમિયાન સાતેક મહિના પહેલાં હસમુખભાઈએ પત્નીને મારઝૂડ કરી હતી અને પત્ની તથા પુત્રીને મૂકી આ યુવાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા વડાળા (ઘેડ) ગામમાં રહેતા માતા ધીરીબેન અરશીભાઈ સાથે રહેવા ચાલ્યા ગયા હતા.
ત્યારપછી એકલા રહેતા માધુરીબેનને અવારનવાર મોબાઈલ પર કોલ કરી ચાલચલગત અંગે ગાળો ભાંડી હસમુખભાઈ તથા સાસુ ધીરીબેને ત્રાસ આપતા આ પરિણીતાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પતિ અને સાસુની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે જામનગર શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt