
અમરેલી,03 એપ્રિલ (હિ.સ.) સાવરકુંડલાના શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના શતાબ્દી મહોત્સવ અંતર્ગત રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેલપ્રેમીઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. રમોત્સવમાં વિવિધ ક્રીડા સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય મહેશ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આયોજકોના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા અને યુવાનોને રમતગમત સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને આરોગ્યપ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શતાબ્દી મહોત્સવના આ અવસરે વ્યાયામ મંદિરની ગૌરવમય પરંપરાને યાદ કરવામાં આવી અને રમતગમતના મહત્વ પર ભાર મૂકાયો. આયોજકો દ્વારા ખેલાડીઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ક્રીડાપ્રેમીઓ અને નાગરિકોની મોટી ઉપસ્થિતિ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બની ગયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai