
અમરેલી,05 એપ્રિલ (હિ.સ.)
અમરેલી જિલ્લાના કુંકાવાવ નજીક આવેલા વડિયા ગામમાં ગૃહકલેશથી કંટાળી એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં અંતે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વડિયા ગામે રહેતી મિલનબેન રવિભાઈ રાવરાણી (ઉંમર આશરે 30 વર્ષ)એ 26 માર્ચના રોજ સવારે લગભગ 9:30 વાગ્યે પોતાના ઘરે કેરોસીન શરીર પર છાંટી દીવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝી ગઈ હતી.
ઘટના બનતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને મિલનબેનને પ્રાથમિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ડોક્ટરોની સતત સારવાર છતાં મિલનબેનની સ્થિતિ ગંભીર રહેતાં 3 એપ્રિલના રોજ બપોરે લગભગ 3 વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવે ગૃહકલેશ જેવા સામાજિક પ્રશ્નોને લઈને ચિંતાનો વિષય ઊભો કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai