
કચ્છ, 25 મે (હિ.સ.) પૂર્વ કચ્છના આદિપુર વિસ્તારમાં નોંધાયેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર ચાલી રહેલા વધુ એક આરોપીને આદિપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલી સતત કાર્યવાહી વચ્ચે આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા ની આગેવાનીમાં પોલીસ ટીમે તપાસ વધુ તેજ બનાવી હતી.
તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને વિવિધ સૂત્રોની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. અંતે પોલીસે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામના રહેવાસી નરેન્દ્રસિંહ દીલીપસિંહ વિહોલને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ બાદ તેની સામે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને ગુનાથી જોડાયેલા અન્ય મુદ્દાઓની પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પો.સ.ઇ આર.એમ. ડુવા સહિત આદિપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar