
પાટણ, 26 મે (હિ.સ.) પાટણ શહેરના વોર્ડ નંબર 8 સ્થિત જ્વાલામુખીની પોળમાં છેલ્લા 10 દિવસથી નવીન રોડનું કામ અધૂરું પડ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદકામ કર્યા બાદ કામગીરી બંધ કરી દેતાં સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો છે.
રોડ અધૂરો અને ખોદેલો હોવાથી ખાસ કરીને સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત રસ્તા પર ધૂળ-માટી ઉડતાં વાહનચાલકો માટે અકસ્માતનો ભય પણ વધ્યો છે, જેના કારણે વિસ્તારની સ્થિતિ વધુ ખરાબ બની છે.
આ મામલે વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ભરત ભાટીયાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને ઈમેઈલ તથા વોટ્સએપ દ્વારા રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક કામ શરૂ કરીને પૂર્ણ કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સામે વહીવટી કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ