
- બાળકો સહિત 62 મુસાફર સવાર હતા, 25 ઈજાગ્રસ્ત
ગોંડલ/અમદાવાદ,25 મે (હિ.સ.) અધિક માસ એટલે કે પુરષોત્તમ માસ નિમિત્તે, ધાર્મિક સ્થળોના દર્શનેજે જવાનો મહિમા છે આવી જ એક બસ દર્શન માટે બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિકસ્થળોના દર્શનાર્થે ઉપડી હતી. આ બસના શ્રદ્ધાળુઓ માટે વહેલી સવાર કાળમુખી સાબિત થઈ છે.
ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં બે મહિલા કે જે સંબંધમાં સાસુ-વહુ હેટ જેમના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી આજે વહેલી સવારે 4:30 વાગ્યે એક ખાનગી બસ બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિકસ્થળોના દર્શનાર્થે ઉપડી હતી. તમામ સ્થળોએ દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ સોમવારે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી.
આ રોડ સિંગલ પટ્ટી હોવાને કારણે સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઈડ આપવા માટે બસના ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું. આ દરમિયાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ 62 લોકો સવાર હતા.
વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ વોરા કોટડા અને દેવચડી ગામના સ્થાનિક યુવાનો અને સામાજિક કાર્યકરો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. બસના કાચ તોડીને ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માતની ગંભીરતાને જોતા ગોંડલ નગરપાલિકાની 3 એમ્બ્યુલન્સ, 108ની 4 એમ્બ્યુલન્સ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સરકારી તેમજ ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, જેમાંથી 5 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ અને ગોંડલની ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી હેલ્પલાઈન 112નો પોલીસ સ્ટાફ અને વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ, ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતાઅશોકભાઈ પીપળીયા, નગરપાલિકા ઉપપ્રમુખ મનીષ રૈયાણી, સદસ્ય નિલેશ કાપડિયા, તેમજ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશ માધડ અને તેમની ટીમ દર્દીઓની વહારે આવી હતી.
હાલ ગોંડલ તાલુકાના આઇપીએસ પ્રખરકુમાર સહિતનો પોલીસકાફલો આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ ચલાવી રહ્યો છે. તંત્ર દ્વારા તમામ ઈજાગ્રસ્તોને જરૂરી મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ