
- અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગરમાં જાહેરાત
- ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની નિમણૂંક
અમદાવાદ,26 મે (હિ.સ.) અમદાવાદ મહાનગરપાલિકાના પરિણામના 30 દિવસ બાદ અમદાવાદને નવા મેયર મળ્યાં છે. અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની નિમણૂંક કરવામાં આવી છે.
અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુ શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે.
ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના, જશુ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.
આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભાજપ હાઈકમાન્ડ બંધ કવર ખોલી, મેયરપદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પહેલી બોર્ડ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 અને એ.એમ.ટી.એસ.ના 8 સભ્યોની પણ નિમણૂંક કરવામા આવી શકે છે.
નવસારીના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2ના અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8) અને દંડક તરીકે રાકેશ પટેલ (વોર્ડ નંબર 7) ના નામ જાહેર કરાયા છે.
દિવ્યા નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂં તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરાઈ છે.
મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉતમ સુરાણીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જયંતીભાઈ પડસુંભિયાની વરણી કરવામાં આવી છે.
ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.
જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેનકુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવિણાબેન રુપડીયાને દંડક બનાવાયા છે. ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ દ્વારા મેયર તરીકે જાહેર કરાયા છે.અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિએ મેયર માટે ફોર્મ ભર્યું હતું, જેને કોંગ્રેસના કોર્પોરેટરોએ મત આપ્યો હતો.અમદાવાદના મેયર તરીકે સત્તાવાર રીતે ચૂંટણી કરવામાં આવી છે. જેમાં ભાજપના કોર્પોરેટરોએ બહુમતી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ