
ભાવનગર, 26 મે (હિ.સ.) જૂનાગઢ શહેરના નાગરિકોને લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળવાની છે. રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના વિસાવદર–જૂનાગઢ મીટર ગેજ સેક્શનમાં ગ્રોફેડ વિસ્તારમાં નવા મીટર ગેજ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
શહેરની વચ્ચેથી પસાર થતી મીટર ગેજ લાઇન કાયમી રીતે બંધ થશે
આ પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગ્રોફેડ સ્ટેશન શરૂ થયા બાદ ગ્રોફેડ અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચેનો આશરે 4.2 કિમી લાંબો મીટર ગેજ રેલખંડ કાયમી રીતે બંધ કરી દેવામાં આવશે. હાલમાં આ રેલખંડ શહેરના ઘનવસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થાય છે અને તેના કારણે 7 સમપાર ફાટકો લાંબા સમય સુધી બંધ રહેતા હોવાથી સમગ્ર શહેરમાં ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે.
નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ શહેરની અંદરના તમામ 7 સમપાર ફાટકો દૂર થઈ જશે, જેના કારણે જૂનાગઢ શહેરને લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક સમસ્યામાંથી કાયમી રાહત મળશે.
મીટર ગેજ લાઇન બંધ થતાં શહેરની અંદરના તમામ 7 સમપાર ફાટકો દૂર થઈ જશે. તેના કારણે નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, ઓફિસ જતાં કર્મચારીઓ તેમજ તાત્કાલિક સેવા વાહનોને વારંવાર થતા ટ્રાફિક જામમાંથી રાહત મળશે.ઘનવસ્તીવાળા વિસ્તારમાં આવેલા 7 સમપાર ફાટકો દૂર થતાં માર્ગ અને રેલવે અકસ્માતોની શક્યતાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.
સમપાર ફાટકોના સંચાલન અને જાળવણીમાં લાગેલા રેલવે કર્મચારીઓને અન્ય કામગીરીમાં વધુ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાયશે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવા ગ્રોફેડ સ્ટેશન અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચે ઈ-બસ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જેથી મીટર ગેજ મુસાફરોને બ્રોડ ગેજ ટ્રેનો અને શહેરના અન્ય વિસ્તારો સાથે સરળ જોડાણ મળી રહેશે.
હાલના જૂનાગઢ સ્ટેશન પર મીટર ગેજ કામગીરી બંધ થયા બાદ ઉપલબ્ધ થતી જમીનનો ઉપયોગ બ્રોડ ગેજ યાર્ડ અને અન્ય કામગીરી સંબંધિત સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવશે.
રેલવેની આ પહેલ કામગીરીની જરૂરિયાત અને નાગરિક સુવિધા — બંને વચ્ચે સંતુલન સ્થાપિત કરતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આથી માત્ર શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો નહીં થાય, પરંતુ જૂનાગઢના શહેરી વિકાસને પણ નવી દિશા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ