
જુનાગઢ, 27 મે (હિ.સ.) : જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીએ આજે વસ્તી ગણતરી - 2027અંતર્ગત ડિજિટલી સ્વ- ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
તેમણે વસ્તી ગણતરીને દેશ માટે ખૂબ અગત્યની પ્રક્રિયા ગણાવતા કહ્યું હતું કે, દેશના ભવિષ્યના આયોજન માટે વસ્તી ગણતરીનો ડેટા આધારરૂપ છે. આ જનગણનાની માહિતીના આધારે લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નીતિ ઘડતર પણ થતું હોય છે. તેમણે ખાસ જૂનાગઢવાસીઓને દેશ પ્રત્યેનું એક કર્તવ્ય માનીને se.census.gov.in પોર્ટલ પર સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી કરવા માટે અનુરોધ કર્યો હતો.
પ્રભવ જોષીએ જણાવ્યું કે, ડિજિટલી વસ્તી ગણતરી મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે, ઉપરાંત વસ્તી ગણતરી સંબંધિત કોઈ મુશ્કેલી માટે ટોલ ફ્રી નંબર 1855 પર પણ નાગરિકો સંપર્ક કરી શકે છે. વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવાથી દેશના ભવિષ્યના નિર્ધારણમાં લોકોનો ખૂબ મોટો ફાળો રહેશે. લોકો તા.31 મે સુધી ઓનલાઇન વસ્તી ગણતરી કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ