

પોરબંદર, 26 મે (હિ.સ.) JCI પોરબંદર દ્વારા આયોજિત “પ્રોજેક્ટ વિદ્યા” અંતર્ગત રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી આ પ્રોજેક્ટને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ બોટબુકનો લાભ લીધો હતો.
આ પ્રોજેક્ટ અંતર્ગત કિંગ સાઇઝ ફૂલસ્કેપ નોટબુક માત્ર 23 ના રાહત દરે વિતરણ કરાવવામાં આવી હતી. વધતા શૈક્ષણિક ખર્ચ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક રાહત મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જોડાયેલા રહે તે હેતુથી આ સમાજલક્ષી પહેલ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત રહી પ્રોજેક્ટ વિદ્યાની મુલાકાત લીધી હતી અને JCI પોરબંદર દ્વારા કરવામાં આવેલી આ શિક્ષણલક્ષી પહેલની પ્રશંસા કરી તેમણે વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવતા આવા પ્રોજેક્ટોને સમાજ માટે ખૂબ ઉપયોગી ગણાવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રતીક લાખાણી એ જણાવ્યું હતું કે “પ્રોજેક્ટ વિદ્યા” ને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં જરૂરિયાત અને વધુ માંગ રહેશે તો JCI પોરબંદર દ્વારા ફરી પણ એકવાર રાહત દરે નોટબુક વિતરણ અભિયાન યોજવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે JCI પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા તથા બિરાજ કોટેચાએ સંપૂર્ણ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. આ ઉપરાંત અન્ય સભ્યો, પ્રોજેક્ટ ટીમ તથા સહયોગીઓએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. સમગ્ર આયોજન દરમિયાન શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત કામગીરી જોવા મળી હતી.
JCI પોરબંદર દ્વારા આવનારા સમયમાં પણ શિક્ષણ, યુવા વિકાસ અને સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓના વિવિધ પ્રોજેક્ટોનું આયોજન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya