

કચ્છ, 27 મે (હિ.સ.) પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં પશુઓ અને વન્યજીવો પ્રત્યે થતા અત્યાચાર અને શિકારી તત્વો સામે કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને વાયોર પોલીસે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. વાયોર પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી હતી.
તે દરમિયાન વાયોર પોલીસ સ્ટેશનના એએસઆઈ ડાયાભાઈ ગઢવી અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન વાયોર ત્રણ રસ્તા નજીક ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પ્રવિણ કેસા જાગરીયા, મનસુખ દામજી જાગરીયા અને પરસોત્તમ દાંના જાગરીયા નામના ત્રણેય ઇસમો પાસે બે ભાલા અને એક કુહાડી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં તેઓ શિકારી પ્રવૃત્તિ માટે ફરતા હોવાનું સામે આવતા પોલીસે તુરંત જ કાર્યવાહી કરી હતી.
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જાહેરનામાનો ભંગ અને હથિયારબંધી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાયોર પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં શિકારી તત્વોમાં ચકચાર મચી જવા પામી છે, જ્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસની સતર્ક કામગીરીને વખાણવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar