
જામનગર, 03 મે (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, જામજોધપુર પોલીસ મથકે નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર ૦૧૮૬/૨૩ (સેશન્સ કેસ નંબર ૬૫/૨૩) જે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૯(એ), ૧૨૦-બી અને ૧૧૪ મુજબના લૂંટ અને ગુનાહિત કાવતરાના કામે સંડોવાયેલ આરોપી દસ્તગીર ઉર્ફે રબાની શાકિબભાઇ ખલીલભાઇ કુરેશી (ઉં.વ. ૨૬, રહે. ઉન પાટીયા, કાલેખાન જબારના મકાનમાં, સુરત, મૂળ રહે. મુરાદાબાદ, ઉત્તર પ્રદેશ) લાંબા સમયથી ફરાર છે. આ કામના આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રક્રિયાઓ બાદ, હવે જામનગરની સેશન્સ કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૮૨ મુજબનું ઉદ્ઘોષણા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, કોર્ટે આરોપીને નિયત સમયગાળામાં રજૂ થવા અથવા કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપવા ફરમાવ્યું છે. જો આરોપી નિર્ધારિત સમયમાં હાજર નહીં થાય, તો કાયદા મુજબની આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આરોપી અંગેની કોઈ પણ જાણકારી ધરાવતા નાગરિકોને જામજોધપુર પોલીસ ઇન્સપેક્ટર 9825184095, 6359627873 નો સંપર્ક કરવા અને ન્યાયિક પ્રક્રિયામાં મદદરૂપ થવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt