
અમરેલી, 03 મે (હિ.સ.) : અમરેલી ખાતે આવેલી ડો. જીવરાજ એન. મહેતા સરકારી પોલિટેકનિકમાં પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના સેમેસ્ટર-૬ના વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસ પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું તેમજ વૃક્ષારોપણ કરી હરિયાળી વધારવાનો સંકલ્પ લેવાયો હતો. સાથે સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને સ્વચ્છતા જાળવવા અંગે સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ “સ્વચ્છ કેમ્પસ, હરિત કેમ્પસ”નો નારો આપી અન્ય લોકોને પણ પ્રેરણા આપી.
આ પ્રસંગે સંસ્થાના પ્રાધ્યાપકો અને સ્ટાફ સભ્યોએ પણ માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પર્યાવરણ જાળવણી આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને યુવાનોની ભાગીદારીથી જ સકારાત્મક પરિવર્તન શક્ય બને છે.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી હતી અને ભવિષ્યમાં આવા પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai