
સુરત, 03 મે (હિ.સ.) : સુરતના લિંબાયત વિસ્તારમાં એક ગંભીર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે, જ્યાં એક સગીરાની છેડતીના મામલે વિવાદ ઉગ્ર બનતા બે લોકોની હત્યા થઈ અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. ઘટના કમરૂ નગર પોલીસ ચોકી નજીક બની હતી, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.
માહિતી મુજબ, 26 એપ્રિલની રાત્રે રિક્ષા ચાલક ઈરફાન અલી સૈયદ અને તેમના સગા સાથે આરોપીઓએ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરફાન અલીનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે ઈકબાલ નામના અન્ય ઘાયલનું સારવાર દરમિયાન બાદમાં નિધન થયું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ વિવાદની શરૂઆત સગીરાની છેડતીથી થઈ હતી.
પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કે એક સગીરે યુવતીને જોઈ સિટી મારી હતી, જેના વિરોધમાં યુવતી અને તેના પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. આ મુદ્દે બપોરે શરૂ થયેલો તણાવ રાત્રે હિંસક બન્યો અને આરોપીઓએ ઘાતક હુમલો કર્યો. ઘટના બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને ચાર આરોપીઓને ઝડપી લીધા તેમજ એક સગીરને ડિટેઈન કર્યો.
આ ઘટનાના અનુસંધાનમાં પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહી પણ જોવા મળી, જેના કારણે સમગ્ર ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે. પોલીસે હાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે