મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગીરની મુલાકાત લીધી: એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી
ગીર સોમનાથ, 31 મે (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે એશિયાઈ સિંહોમાં જોવા મળેલા સંક્રમણની વર્તમાન સ્થિતિની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરવા માટે ગીર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત


ગીર સોમનાથ, 31 મે (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે એશિયાઈ સિંહોમાં જોવા મળેલા સંક્રમણની વર્તમાન સ્થિતિની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરવા માટે ગીર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

સંબંધિત ઉચ્ચ અધિકારીઓ તથા પશુચિકિત્સકો (વેટરનરી)ની ટીમો સાથે વિસ્તૃત બેઠક યોજીને ચર્ચા-વિચારણા સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવ્યા હોવાના કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. રાહતના સમાચાર આપતા તેમણે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી. તેમ છતાં, કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો ચોવીસે કલાક (૨૪x૭) કાર્યરત છે અને સિંહોના આરોગ્ય પર સતત અને ઝીણવટભરી નજર રાખી રહી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર અને વન વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છે. સિંહોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ અગ્રતા છે.

ગીરના જંગલોમાં ગુંજતી સિંહોની ગર્જના આવનારી પેઢીઓ સુધી અવિરત રહે તે માટે દિવસ-રાત જોયા વગર દરેક સ્તરે પૂર્ણ નિષ્ઠાથી કામ કરી રહેલા વન વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, પશુચિકિત્સકો અને મેદાનમાં (ફિલ્ડ પર) કાર્યરત ટીમોના સમર્પણ અને અવિરત મહેનતને મંત્રીએ હૃદયપૂર્વક બિરદાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande