
પાટણ, 10 જૂન (હિ.સ.) : ભારતમાં ચાલી રહેલી 16મી અને સ્વતંત્રતા પછીની આઠમી જનગણનાનું કાર્ય શંખેશ્વર તાલુકાના છેવાડાના ગામોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. તારાનગર, નવી કુવર, કુવર સુબાપુરા, રાજપુરા અને પીરોજપુરા ગામોમાં બી.એલ.ઓ. જાનકીબેન પટેલ અને રજનીકાંત પટેલ દ્વારા ઘરગણના અને મકાન સૂચિનું કાર્ય આશરે 80 ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે.
જનગણનાના પ્રથમ તબક્કામાં શૌચાલય, પીવાનું પાણી, ગેસ કનેક્શન, સ્નાનાગૃહ અને ગટર વ્યવસ્થા સહિત 34 મુદ્દાઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ માહિતી સરકારને વિકાસ યોજનાઓ ઘડવામાં અને છેવાડાના લોકો સુધી સુવિધાઓ પહોંચી છે કે નહીં તે જાણવા ઉપયોગી બનશે.
ગણતરીદારો ગરમી સહિતની મુશ્કેલીઓ વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે અને સ્થાનિક લોકોનો સારો સહકાર મળી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસમાં જનગણનાનું કાર્ય સો ટકા પૂર્ણ થઈ જશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ