
જામનગર, 14 જૂન (હિ.સ.) : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ૧૫મી જૂનના રોજ ‘યાત્રી સુવિધા દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત દેશભરના તમામ એરપોર્ટ પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુખ્યત્વે વડાપ્રધાનના વિઝન અને નાગરિક ઉડ્ડયન મંત્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં એરપોર્ટ સેક્ટરમાં મળેલી સિદ્ધિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં આપેલા યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ અંગે જામનગર એરપોર્ટ ડાયરેકટર ડી.કે.સિંહ દ્વારા વિગતો આપતા જણાવાયું છે કે જામનગર એરપોર્ટ ખાતે ૧૫મી જૂનના રોજ દિવસભરના વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત એરપોર્ટ પર આગમન થતા તમામ મુસાફરોનું તિલક કરીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટ પરિસરમાં દેશભક્તિના માહોલ સાથે મુસાફરો અને સ્ટાફ દ્વારા સામૂહિક ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવશે.
સામાજિક સેવાની પહેલના ભાગરૂપે એરપોર્ટ પર એક હેલ્થ ચેક અપ કેમ્પનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ ઉપરાંત, એવિએશન ક્ષેત્રે સંકળાયેલી મહિલાઓનું તેઓની સરાહનીય કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવશે. તેમજ મુસાફરોના મનોરંજન અને સ્વાગત માટે એરપોર્ટના અરાઈવલ હોલમાં પરંપરાગત ગુજરાતી લોકનૃત્યની ભવ્ય પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt