
સુરત, 26 જૂન (હિ.સ.) સુરત શહેરમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા.એક તરફ પોલીસ ગુનાખોરીને ડામવા અને અસામાજિક તત્વો ઉપર અંકુશ લગાવવા માટે પેટ્રોલિંગ,કોમ્બિંગ અને સતત કાર્યવાહી કરી રહી છે,જ્યારે બીજી તરફ હત્યા જેવા ગંભીર ગુનાઓ યથાવત રહેતા કાયદો-વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે.આ પરિસ્થિતિઓ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે હત્યાના બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી.એટલું જ નહીં મિત્રએ જ ચપ્પુના ઘા ઝીકી મિત્રની કરપીણ હત્યા કરી સ્થળ પરથી નાશી છૂટ્યો હતો.હત્યાના આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી જયારે સ્થાનિક પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલા પ્રેમનગરમાં રહેતા અમોલ મહેન્દ્ર સાલવે અને તેના મિત્ર સન્ની જાદવ વચ્ચે પ્રેમનગર ખાતે સામાન્ય બોલાચાલી થઇ હતી જે જોત જોતામાં ઉગ્ર બની ગઈ હતી.મિત્ર સન્નીએ હિંસક સ્વરૂપ ધારણ કરીને પોતાની પાસે રહેલા ચપ્પુ કાઢીને અમોલ ઉપર ઘા ઝીંકી દીધા હતા.મિત્રનું જ લોહી વહાવવા આરોપી સન્ની જરા પણ અચકાયો ન હતી અને તેની ઉપર ચપ્પુનો ગંભીર ઘા કરતા તે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો,અમોલને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો,જ્યા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.અમોલના મોત બાદ એક તરફ તેના પરિવારમાં ભારે શોક છવાઈ ગયો હતો જયારે પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઈ હતી.પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવીને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કારવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે