
અમદાવાદ,27 જૂન (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા ધ કોન્ફ્લુએન્સના સહયોગમાં ઇન્ડિયા એટ 100,વોટ વિલ મેક ઇન્ડિયા ટ્રુલી ડેવલપ્ડ બાય 2047 વિષય પર વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, અનુભવી મીડિયા જગતના અગ્રણીઓ, નીતિ વિષયક નિષ્ણાતો અને ડિજિટલ વિઝનરીઝ ભારતના સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ માટેના રોડમેપ પર ચર્ચા-વિચારણા કરવા માટે એકસાથે આવ્યા હતા. આ વિચારગોષ્ઠીમાં વિવિધ ક્ષેત્રના વિચારકોની પેનલે ટકાઉ અને સર્વસમાવેશી વિકાસ હાંસલ કરવા અંગેના પોતપોતાના આગવા દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા.
પીસીસ્નેહલ ગ્રુપ ઓફ કંપનીઝના ચિરંજીવ પટેલએ લાંબાગાળાની આર્થિક ગતિ જાળવી રાખવા માટે જરૂરી મુખ્ય સ્તંભો તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પાયાની સુવિધાઓ)નો વિકાસ, સામાજિક ઉદ્યોગસાહસિકતા અને સંસ્થાકીય મજબૂતાઈની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
અજય ઉમટ એ બદલાતા લોકશાહી પરિદ્રશ્યમાં જાહેર વિમર્શને આકાર આપવામાં, પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવામાં મીડિયાની બદલાતી ભૂમિકા વિશે ઊંડાણપૂર્વક વિશ્લેષણાત્મક વિચારો રજૂ કર્યા હતા.
ભાજપ યુવા મોરચાના વરુણ ઝવેરીએ રાષ્ટ્રના વિકાસના એજન્ડાનું નેતૃત્વ કરવા માટે લક્ષિત નીતિગત માળખાં, વ્યાપક સંશોધન આધારિત શાસન અને યુવાનોના વ્યૂહાત્મક સશક્તિકરણની અનિવાર્યતા પર પ્રકાશ પાડ્યો હતો.
પોડકાસ્ટર જય થાડેશ્વર એ ડિજિટલ કોમ્યુનિકેશનની અપાર શક્તિ, વ્યૂહાત્મક સ્ટોરીટેલિંગ (વાર્તા રજૂઆત) અને નવી પેઢીના મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નવીનતા (ઇનોવેશન) તથા નાગરિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ વિચારગોષ્ઠીએ સફળતાપૂર્વક એ બાબત રેખાંકિત કરી કે સાચા અર્થમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે શાસન, નીતિ, ઉદ્યોગસાહસિકતા અને જનભાગીદારીને જોડતા સંયુક્ત પ્રયાસોની જરૂર છે. કાર્યક્રમનું સમાપન ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી સત્ર સાથે થયું હતું, જેમાં શ્રોતાઓને 'ઇન્ડિયા એટ 100 ના વિઝનમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ કેવી રીતે સક્રિયપણે યોગદાન આપી શકે તે અંગેના વ્યવહારુ વિચારો રજુ કરાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ