કચ્છમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ-વાવાઝોડાની આગાહી: હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર, સાવચેતી રાખવા અપીલ
કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) : ભારતીય હવામાન વિભાગે ગુરુવાર સાંજે જાહેર કરેલી તાજી ''નાઉકાસ્ટ'' આગાહીમાં કચ્છ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે આગામી બે થી ત્રણ કલાક અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે. હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કચ
કચ્છમાં ઓરેન્જ એલર્ટ


કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) : ભારતીય હવામાન વિભાગે ગુરુવાર સાંજે જાહેર કરેલી તાજી 'નાઉકાસ્ટ' આગાહીમાં કચ્છ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે આગામી બે થી ત્રણ કલાક અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે. હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કચ્છ જિલ્લામાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેની સાથે ગાજવીજ અને મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના હોવાથી નાગરિકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ કેટલાક સ્થળોએ વૃક્ષો અથવા વીજ થાંભલા પડી જવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.

પ્રશાસને લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની અપીલ કરી છે. ખુલ્લા મેદાનો, નદી-તળાવના કિનારા તેમજ ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવા જણાવ્યું છે. વીજળીના કડાકા દરમિયાન મોબાઇલ ફોનનો ખુલ્લામાં ઉપયોગ ન કરવા તેમજ સુરક્ષિત ઇમારતમાં આશરો લેવા સલાહ આપવામાં આવી છે. વાહનચાલકોને વરસાદ દરમિયાન ધીમી ગતિએ વાહન ચલાવવા અને રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ મુસાફરી કરવાની સૂચના આપવામાં આવી છે.

આ આગાહી માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને પંજાબના અનેક જિલ્લાઓમાં પણ ગાજવીજ, ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં તો ભારે વરસાદ અને આશરે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી થોડા કલાકો દરમિયાન પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. તેથી નાગરિકોએ સત્તાવાર હવામાન અપડેટ પર સતત નજર રાખવી, સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને કચ્છ જિલ્લામાં રહેતા લોકોને વરસાદી માહોલ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande