
અમરેલી,16 જુલાઈ (હિ.સ.)
અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ખાતે બજરંગ ગૌશાળા દ્વારા અષાઢી બીજના પાવન અવસરે ભવ્ય ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી અને રથયાત્રામાં જોડાઈ ભક્તો સાથે આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, આગેવાનો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ જય જગન્નાથના જયઘોષ, ભજન-કીર્તન અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ વરસે તેમજ સમાજમાં એકતા, ભક્તિ અને સદભાવનાની ભાવના વધુ મજબૂત બને તેવી પ્રાર્થના છે.
તેમણે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજને એકતા, સંસ્કાર અને સહઅસ્તિત્વનો સંદેશ આપતા હોવાનું પણ જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai