
સુરત, 17 જુલાઈ (હિ.સ.) સુરતના વરાછા ફ્લાયઓવર પર શુક્રવારે એક પેસેન્જર રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી. માહિતી અનુસાર, ચાલતી રિક્ષાનું આગળનું ટાયર અચાનક છૂટીને બહાર નીકળી જતાં ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે રિક્ષા રોડ પર પલટી મારી ગઈ, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં પણ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રોડ પર પટકાતા તેઓ અર્ધબેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સહાય પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે