
પાટણ, 17 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના શબ્દલપુરા પાટીયા નજીક એસટી બસે મોટરસાયકલને ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ બસ ચાલક અને કંડક્ટર બસ મૂકીને ફરાર થઈ ગયા હતા.
ગોચનાદ ગામના વિશાલ બિજલભાઈ ઠાકોર અને સમીરશા મુસ્તુફાશા ફકીર રાધનપુરથી અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ કરીને મોટરસાયકલ પર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે બનાસ નદીના પુલ નજીક પાછળથી આવેલી રાધનપુર-અમદાવાદ રૂટની એસટી બસે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
સામેથી વાહન આવતાં બસ ચાલકે મોટરસાયકલને દબાવતાં તે રોડની કિનારે સ્લીપ થઈ ગઈ હતી. આ દરમિયાન સમીરશા રોડ પર પટકાતા બસનું આગળનું ટાયર તેમના માથા પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે વિશાલ ઠાકોરને હાથ, પગ અને પાંસળીના ભાગે ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત વિશાલ ઠાકોરની ફરિયાદના આધારે સમી પોલીસે એસટી બસના ચાલક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106(1), 281, 125(એ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 અને 187 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ