
વડોદરા , 17 જુલાઈ (હિ.સ.) વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા નિરમા કેનાલ વિસ્તારમાં એક પરપ્રાંતિય યુવકે રિવોલ્વરથી પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ઈજાગ્રસ્ત યુવકની ઓળખ 22 વર્ષીય રણજીત ચૌધરી તરીકે થઈ છે. તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલમાં સાવલી તાલુકાના મંજુસર વિસ્તારમાં રહેતો હતો. જાણવા મળ્યા મુજબ, તેણે ત્રણ દિવસ પહેલાં જ મંજુસર સ્થિત એક કલર કંપનીમાં નોકરી શરૂ કરી હતી.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, રણજીત અને તેની પત્ની વચ્ચે ગૃહકલેશ ચાલતો હોવાથી બંને અલગ રહેતા હતા. પ્રાથમિક તપાસમાં આ પારિવારિક વિવાદને પગલે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.હાલ પોલીસે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. યુવક પાસે રિવોલ્વર કેવી રીતે આવી અને ઘટનાના ચોક્કસ કારણો શું છે તે સહિતના તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ