અગ્નિવીરવાયુ અને એરમેન તરીકે ભારતીય વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક, 26 જુલાઈ સુધી અરજી કરી શકાશે
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.)ભારતીય વાયુસેનામાં દેશસેવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે અગ્નિવીરવાયુ તેમજ એરમેન (મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ) તરીકે જોડાવાની ઉત્તમ તક ઉપલબ્ધ થઈ છે. ભારતીય વાયુસેના દ્વારા આ ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અગ્નિવ
Ai ફોટો


ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.)ભારતીય વાયુસેનામાં દેશસેવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે અગ્નિવીરવાયુ તેમજ એરમેન (મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ) તરીકે જોડાવાની ઉત્તમ તક ઉપલબ્ધ થઈ છે. ભારતીય વાયુસેના દ્વારા આ ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અગ્નિવીરવાયુની ભરતી માટે અવિવાહિત પુરુષ અને મહિલા ઉમેદવારો અરજી કરી શકશે, જ્યારે એરમેન (મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ) માટે માત્ર પુરુષ ઉમેદવારો અરજી કરવા પાત્ર રહેશે.

અગ્નિવીરવાયુ માટે ઉમેદવારની જન્મતારીખ 1 જુલાઈ, 2006થી 1 જાન્યુઆરી, 2010 વચ્ચે હોવી આવશ્યક છે. એરમેન (મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ–10+2) માટે જન્મતારીખ 1 જુલાઈ, 2006થી 1 જુલાઈ, 2010 વચ્ચે હોવી જોઈએ. જ્યારે મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ (ડિપ્લોમા/બી.એસસી. ફાર્મસી) માટે અવિવાહિત પુરુષ ઉમેદવારોની જન્મતારીખ 1 જુલાઈ, 2003થી 1 જુલાઈ, 2008 વચ્ચે તથા વિવાહિત પુરુષ ઉમેદવારોની જન્મતારીખ 1 જાન્યુઆરી, 2003થી 1 જાન્યુઆરી, 2006 વચ્ચે નિર્ધારિત કરવામાં આવી છે.

આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ, 2026 રાખવામાં આવી છે. ભરતીની ઓનલાઈન પરીક્ષા 30 સપ્ટેમ્બર, 2026થી શરૂ થશે. ઉમેદવારોને સમયમર્યાદામાં અરજી કરી જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

ઓનલાઈન અરજી પ્રક્રિયા, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, પગારધોરણ અને અન્ય તમામ વિગતવાર માહિતી ભારતીય વાયુસેનાની અધિકૃત ભરતી વેબસાઇટ પરથી મેળવી શકાય છે. જિલ્લા રોજગાર અધિકારી, ભાવનગર દ્વારા યુવાનોને આ સુવર્ણ તકનો લાભ લઈ ભારતીય વાયુસેનામાં જોડાઈ દેશસેવામાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande