
અમરેલી,18 જુલાઈ (હિ.સ.)
સાવરકુંડલા તાલુકાના સુકનેરા વિસ્તારમાં આજે નર્મદાના નવા નીરનું આગમન થતાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પાલિકા પ્રમુખ નયનાબેન તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નર્મદાના નવા નીરને ફૂલ અર્પણ કરીને વધાવી તેનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નર્મદા યોજનાને રાજ્યના વિકાસ અને જળસંચય માટેની મહત્વપૂર્ણ યોજના ગણાવવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે નર્મદાનું પાણી ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ પાણીના આગમનથી પીવાના પાણીની સમસ્યા હળવી બનશે તેમજ ખેતી અને અન્ય જરૂરિયાતોને પણ પૂરતું પાણી ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. નર્મદાના નીરના આગમનને વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક ગણાવી સૌએ હર્ષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદમય વાતાવરણ વચ્ચે નર્મદા માતાના જયઘોષ સાથે નવા નીરનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai