
મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા (CHPV) રોગચાળાની અટકાયતી કામગીરીને વધુ અસરકારક બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી બાળરોગ નિષ્ણાંતો માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં સરકારી અને ખાનગી આરોગ્ય ક્ષેત્ર વચ્ચે સંકલન મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
GMERS મેડિકલ કોલેજ, વડનગરના બાળરોગ નિષ્ણાંત ડૉ. રત્ના ભોજકે ચાંદીપુરા રોગના પ્રારંભિક લક્ષણો, સમયસર નિદાન અને તાત્કાલિક સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દર્દીને વહેલી સારવાર મળવાથી જીવ બચાવવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી શકે છે. ગંભીર દર્દીઓના ક્લિનિકલ મેનેજમેન્ટ અને અસરકારક રિફરલ પ્રોટોકોલ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદના મેડિસિન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાયે શંકાસ્પદ કેસોની તાત્કાલિક જાણ આરોગ્ય વિભાગને કરવાની તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલ વચ્ચે સતત સંકલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વર્કશોપમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રવીણ પટેલ તેમજ IAP અને IMAના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકોમાં અચાનક તાવ, ઊલટી, આંચકી, બેભાન અવસ્થા અથવા વધુ સુસ્તી જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં સારવાર માટે પહોંચવું અને સ્વચ્છતા જાળવી રેતીમાખી સહિત જીવાતોના નિયંત્રણ માટે જરૂરી સાવચેતી રાખવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR