
મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલે વિજાપુર તાલુકાના મોટી આદરજ ગામે ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટના જમીન સંપાદન, નાની કડી વિસ્તારમાં ગટરનાં ગંદા પાણીની સમસ્યા તેમજ મનરેગા યોજના હેઠળ થયેલા કામ અંગે રજૂઆત કરી હતી. જ્યારે પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ સતલાસણા તાલુકાના સર્વે નંબરોમાં થયેલા ફેરફારો, જમીન વેચાણની એન્ટ્રીઓ અને DILR દ્વારા થયેલી માપણી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ધારાસભ્યોએ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા વિસ્તારમાં વધતી ચોરી-લૂંટની ઘટનાઓ, પાક ધિરાણ યોજનાની વ્યાજ સહાય, સતલાસણા ખાતે એસટી ડેપો અને આંબેડકર ભવન માટે જમીન ફાળવણી, ખેરાલુમાં ટાઉનહોલ નિર્માણ તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા.
બેઠકમાં અરજદારોની ફરિયાદો, નાગરિક અધિકાર પત્રો, પેન્શન કેસો, સરકારી વસૂલાત, ઓડિટ પેરા અને પડતર કાગળોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ, જિલ્લાના અધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR