

ગોધરા/અમદાવાદ,18 જુલાઇ (હિ.સ.) દેશભરમાં 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરા રેલવે સ્ટેશન પર વર્ચ્યુઅલ લોકાર્પણ કકર્યું ગણતરીના કલાકોમાં લિફ્ટ ખોટકાઈ.
દેશભરમાંરેલવે સ્ટેશનોના આધુનિકીકરણની વચ્ચે પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 17 જુલાઈ સાંજે 4 વાગે રૂપિયા 6.17 કરોડના ખર્ચે પુનઃવિકસિત કરાયેલા ગોધરા જંકશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ મુસાફરો માટે ખુલ્લી મુકાયેલી અત્યાધુનિક લિફ્ટ મોડી રાત્રે 10 વાગે અચાનક બંધ થઈ જતાં 6 મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા.
દેશભરના 75 જેટલા પુનઃવિકસિત રેલવે સ્ટેશનોની યાદીમાં ગોધરા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનને રૂપિયા 6.17 કરોડના અધધ ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકસિત કરવામાં આવ્યું હતું. જો કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાના આ તમામ દાવાઓ પહેલા જ દિવસે પોકળ સાબિત થયા છે.
મળતી માહિતી મુજબ, ગોધરા-વડોદરા મેમુ ટ્રેન મારફતે ગોધરા પહોંચેલા મુસાફરો જ્યારે પ્લેટફોર્મ નંબર 5 પર આવેલી નવી જ નખાયેલી લિફ્ટમાં સવાર થઈને ગેટ નંબર 2 તરફ નીચે ઉતરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ અધવચ્ચે જ સ્તબ્ધ થઈ ગઈ હતી. બંધ લિફ્ટની અંદર ગૂંગળામણ અને ડરના કારણે તેમાં સવાર 3 મહિલા અને 3 પુરુષ સહિત તમામ 6 મુસાફરમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
લિફ્ટમાં ફસાયેલા મુસાફરોની યાદીમાં વિશાલ ઇશરાણી,ઈશ્વર પુરસવાણી,દેશાંત પરમાર,પનિહા પરમાર,કમળા બારીયા અને હર્ષા બારીયા છે.
લિફ્ટ હોલ્ટ થઈ જતાં ફસાયેલા મુસાફરોએ તાત્કાલિક આપાતકાલીન મદદ માટે '112' પર કોલ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ગોધરા ફાયર વિભાગની ટીમ અને 108ની ઇમરજન્સી ટીમ તાબડતોબ રેલવે સ્ટેશન ખાતે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ગેસ કટરની મદદથી લોખંડની લિફ્ટનો ભાગ કાપીને અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ તમામ 6 મુસાફરને હેમખેમ બહાર કાઢ્યા હતા. જો કે, આ જોખમી રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ગોધરા ફાયર બ્રિગેડના જવાન મુકેશ ચાવડાને હાથના ભાગે ઇજા પહોંચી હતી.
નોંધનીય છે કે, આ દુર્ઘટના ઘટી તેના થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ સ્ટેશનનું ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ ભવ્ય પ્રસંગે ગોધરા સ્ટેશન ખાતે જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, સાંસદ રાજપાલસિંહ જાદવ સહિતના ઉચ્ચ નેતાઓ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નેતાઓએ મંચ પરથી ભાષણ આપતા જણાવ્યું હતું કે, આ નવું બિલ્ડિંગ, બીજું પ્રવેશદ્વાર, 4 નવી લિફ્ટ અને સ્માર્ટ સાઇનેજ મુસાફરોની સફરને વધુ સુગમ અને સુરક્ષિત બનાવશે. સાથે જ દેશમાં રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન 33%થી વધીને 99.6% થવા બદલ અને 'કવચ 4.0' જેવી અદ્યતન ટેકનોલોજી બદલ પીઠ થાબડવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ