

વડોદરા,18 જુલાઈ (હિ.સ.) ગુજરાતમાં ચિંતા વધારી રહેલા ચાંદીપુરમ (Chandipura) વાયરસ વચ્ચે હવે વડોદરામાં પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. શહેરના ભાયલી વિસ્તારના એક બાળકમાં ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળતા તેને ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, હોસ્પિટલ દ્વારા બાળકના લોહીના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરમ વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.
દરમિયાન, સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરમ વાયરસની શંકાના ત્રણ બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને શંકાસ્પદ કેસોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રિપોર્ટ આવ્યા બાદ જ દર્દીઓમાં ચાંદીપુરમ વાયરસ છે કે નહીં તે સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ